25/08/2026
'સંસ્કૃત ભાષા, સુંદર ભાષા'
----------------
ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ
------------------
શિવ-કૃષ્ણ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષામાં વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્યું
-----------------
ટેબ્લોના માધ્યમથી યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું
------------------
વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૧૫ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે.
સંસ્કૃત સપ્તાહના ઉપક્રમે વેરાવળના ડૉ.બાબાસાહેબ આંબેડકર ગાર્ડન ખાતે થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ હતી.
'સંસ્કૃત ગૌરવ યાત્રા'માં વિદ્યાર્થીઓએ યાત્રામાં રામ-કૃષ્ણ-શિવ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને તાદ્રશ્ય કર્યા હતાં.
આ યાત્રામાં ટેબ્લોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સહિત યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું અને ડી.જે.ના માધ્યમથી સંસ્કૃત શ્લોક અને ગીતો વડે સમગ્ર યાત્રાના રૂટ પર સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરિચા, સંસ્કૃત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડૉ. મહેશકુમાર મેત્રા, અગ્રણી શ્રી મુકેશભાઈ ચોલેરા, મનસુખભાઈ સુયાણી, સંસ્કૃત યુનિવર્સિટી અને અન્ય કોલેજોના આચાર્ય, પ્રોફેસર્સ અને શૈક્ષણિક સંકુલોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000 00