05/10/2020
સિપોર ને જાણો
તમને ખબર છે સિપોર માં એક આઝાદ ચૉક છે. આઝાદ ચૉક એટલે લુહાર ચૉક ઉર્ફે લવાર ચૉક.આ ચૉક ની પણ ભૂતકાળમાં ખૂબજ જાહોજલાલી હતી અને રાત્રે તો એની રોનક ઓર ખીલી ઉઠતી. લવાર ચૉક નો મોભો એટલે કમલેશ પ્રોવીઝન સ્ટોર્સ અને લક્ષ્મણભાઈ ઉર્ફ લખાભાઈ પટેલનો પાનનો ગલ્લો. કમલેશ પ્રોવીઝન સ્ટોર્સ ના મોભી એટલે કે કાન્તિલાલ પુરુષોત્તમ મોદી ઉર્ફે કાન્તિકાકા. કાન્તિ કાકા ના કારણે લવાર ચૉક કાયમ જીવંત રહેતો. કાકા ના મોમાં થી નીકળતી વાણી નો લાભ ત્યાંથી પસાર થતા દરેક સિપોર નિવાસી એ અચૂકપણે લીધો જ હશે.એ લાભ તમે ન માણ્યો હોય તો તમારા નસીબ.
લવાર ચૉક ના પાત્રો પણ જાણવા અને માણવા જેવા છે. કોઈ નવલકથા, સિરિયલ કે ફિલ્મ ના પાત્રો જેવા હતાં. આખા ગામના યુવાનો અને ઉંમરલાયક લોકો લવાર ચૉક માં ગામ ગપાટા મારવા ભેગા મળતાં. રાણા વાસ ના રજપૂતો,પંચાલ, પાટીદાર ,દરજી, ઠાકોર, રાવળ, હરીજન, સોલંકી વાસ ના રજપૂતો, વાળંદ યુવાનો, મેવાડા તથા ઔદીચ્ય બ્રાહ્મણો, જૈનો, મુસલમાન (કુંભાર) તથા અન્ય નાની મોટી કોમના લોકો રાત્રે પાન મસાલા તથા માવા મસાલા ખાવા લખાભાઈ ના ગલ્લા પર આવી જાય. લખાભાઈ પણ બધાને નામથી ઓળખે. કોઈ પણ નો માવો મસાલો કે પાન હોય તો પણ લખાભાઈ ને મગજમાં ફીટ જ કે તેમાં શું નાખવા નું છે. ફલાણા ભાઈનો માવો મસાલો કે પાન લેવા અન્ય કોઈ પણ આવે તો પણ તેમાં શું નાખવા નું છે તે મુજબ તૈયાર કરી આપે. આવી યાદશક્તિ લખાભાઈ માં હતી. કોના મસાલા કે પાન માં લવલી,કિમામ,ઈજમેટ, કાચી કે પાકી સોપારી નાખવાની છે એ બધું એમના કૉમપયુટર મગજ માં ફીટ જ રહેતું. ગ્રામ પંચાયત પાસે જતા જે ચબુતરો છે ત્યાં બધાંની બેઠક રહેતી. ગામની શાળા ઓ છૂટ્યા પછી બધાની બેઠક ચબુતરા પર કે લવાર ચૉક માં રહેતી. આ સમયે જો મનુભાઈ આચાર્ય સાહેબ આવે તો જેમ કરફ્યુ લદાયો હોય એમ બધા સંતાકૂકડી રમતા. આમ રાત્રે લવાર ચૉક માં પાન મસાલા તથા બીડી સિગરેટ ની મહેફીલ બધી જ કોમના લોકો માણતા આજે આ દ્રશ્યો ફરી સિપોર ના આ ચૉક માં કદાપિ જોવા નહીં મળે.
દિવસ દરમિયાન કાન્તિ કાકા ની દુકાન પર ઘણા લોકો નો જમાવડો રહેતો અને એકબીજા ની ઠઠ્ઠામશ્કરી પણ કરતા. કાકા સ્વભાવના બહું રમુજી હતાં. એકવડીયો બાંધો અને મોં પર હાસ્ય તથા તડ ને ફડ એ એમની ખાસિયત હતી. લાભશંકર મહેતા, કાકા, જેઠાલાલ લવાર, બાબુભાઈ ડૉક્ટર ના ડ્રાઈવર શાનતુજી, કંદોઈ નો સ્ટાફ, ગ્રામપંચાયત નો સ્ટાફ, નરોત્તમભાઈ તેજાભાઇ મહેતા, તથા બ્રાહ્મણો, બંને રાજપૂત વાસ ના લોકો, વાળંદ લોકો, દરજી લોકો તથા હરિજન લોકો તથા અન્ય ઇતર કોમના લોકો સૌ બધા મળી ને સામાજિક તથા રાજકીય ચર્ચા કરી આનંદ માણતા. આમાં ક્યારેક ઠાકોર કુંવરજી હરચંદજી પણ તેમની રમુજ વૃત્તિ નો પરિચય આપતાં. મુસલમાન કુંભાર ભાઈઓ પણ મસ્જિદ માં થી નમાઝ અદા કરી આ ચૉક પર ટોળટપ્પાં કરવા અચુક થોડોક સમય પસાર કરતા. અહીં થી સરપંચ શ્રી પ્રેમશંકર ભાઈ શુક્લ કે મનુભાઈ આચાર્ય જેવા વડીલો પસાર થાય તો એમની આમન્યા જળવાઈ રહે એનું ધ્યાન લોકો દ્રારા ખાસ રાખવામાં આવતું. લવાર ચૉક પર કોઈપણ પ્રકારના નાત જાત ના ભેદભાવ વગર બધા હળીમળીને આનંદ ઉઠાવતા હતા.
લવાર ચૉક નું અન્ય અને જીવનભર યાદ રહે એવું પાત્ર હતું જીવીબેન આને રણછોડ ભાઈ ઠાકોર. જીવીબેન નું મગજ બરાબર ન હોવાથી તેઓ આખા ગામમાં અને ખાસ તો ગઢવાડા થી લવાર ચૉક ની વચ્ચે આખો દિવસ ફરતાં રહેતાં. મનમાં આવે તો લવાર ચૉક વચ્ચે માતાજી ના ગરબા ગાઈને લોકો ને ખુશ કરી દેતાં. જીવીબેન પણ લવાર ચૉક ની સ્મૃતિઓ નો એક અભિન્ન ભાગ છે. જીવીબેન પર ક્યારેક કોઈ ગુસ્સો કરે તો રડીને માંફી પણ માંગી લેતા.
આમ આઝાદ ચૉક ઉર્ફે લવાર ચૉક એ એક કાયમ ધબકતો વિસ્તાર હતો અને આજે પણ છે પરંતુ હવે કદાચ પાત્રો બદલાયા હશે. ખરેખર તો આ ચૉક ના પાત્રો પર સીરિયલ બનાવી હોય તો ખૂબ જ સફળ થાય. પરિવર્તન એ સંસારનો નિયમ છે તે ન્યાયે હવે નો માહોલ જુદો હશે. પરંતુ મ
ભૂતકાળમાં જેમણે પણ આ ચૉક ની જાહોજલાલી તથા રોનક જોઈ છે એમના માટે તો એ કાયમી સંભારણું બની ગયું છે.