01/04/2026
ઉનાળાની કાળજાળ ગરમીમાં સીમના વટેમાર્ગુને પોરો ખાવા માટે એકા'દ નાનકડા ઝાડનો છાંયો મળી જાય તો પૂરતું છે. વહેલી સવારથી માલઢોર હારુ નિણપુળો લેવા ગયેલા કોઈ બેન દીકરી કે ભાઈ માણસને વાડીએથી પાછા ફરતા ફરતા તો બપોર થઈ ગઈ હોય, બરાબર બપોરનો તડકો માથે આવ્યો હોય અને માથે નિણપુળાનો ભારો હોય એવા વખતે પોતે પરસેવે રેબઝેબ થઈ ગયા હોય ત્યારે વાટમાં પોતાને છાંયો હાંભરે. જોકે સૌરાષ્ટ્રના ગામડાની સીમમાં મોટાભાગે વાટમાં વિપુલ પ્રમાણમાં ઝાડવા જોવા મળે છે, અને તેથી છાંયો ન મળે એવું તો ભાગ્યે જ બને.
વાડીમાં કામ કરતા ખેડૂતો કે ખેત મજૂરોને બપોરના રોટલા ટાણે છાંયાની ઓથની જરૂરીયાત રહેતી હોય છે, તેઓ ઇચ્છતા હોય છે કે રોટલા ટાણે તેમને બે ઘડી ટાઢો છાંયો મળે. પછી ભલે તે ગમે તે ઝાડનો છાંયો હોય, ચાહે બાવળ પણ કેમ ન હોય.. છાંયો તો છાંયો છે. ઉક્ત ફોટો અમારી વાડી વિસ્તાર બાજુનો છે, જે મેં જાતે પાડેલો છે. એ ઉનાળાની કાળજાળ ગરમીમાં બાવળના છાંયા નીચે પણ બે ઘડી આરામ કરવા મળે તો કાંઈ ઓછું નથી..
અહીં મને કવિ શ્રીપ્રેમ શંકર ભટ્ટની રચનાની બે પંકિત ટાંકવાનું મન થાય છે,
"ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથિયે
લોટો લાગે મોટો."
એટલે કે, ખારા જળનો તો આખો દરિયો ભર્યો છે, અને મીઠા જળનો લોટો ભર્યો છે, પરંતુ તરસ્યા માણસને મન તો પાણીનો એક લોટો દરિયાથી પણ મોટો છે.
એવી જ રીતે કોઈ વટે માર્ગુ કે કોઈ ખેડૂતો કે પછી ખેત મજૂરો પોરો ખાવા માટે, ઝાડના છાંયાની તલાશમાં હોય છે, પછી એમને વડલાના કે આંબાના ઝાડના મોહ ન હોય, એ બધા ઝાડવા મળી રહે તો તો ઉચિત જ, પણ આરામ કરવા કે થાક ઉતારવા બાવળનો છાંયો મળી રહે તો પણ પોતાને મન તો વડલો અને આંબો જ હોય છે.
– અરવિંદ કળસરિયા. ‘માનસ’
#વાડી #ઝાડનો_છાંયો