23/08/2026
દીકરી જ્યારે કોઈ કારણસર સાસરેથી પિયર ગઈ હોય અને પછી પિયરથી સાસરે જવા પાછી ફરી રહી હોય ત્યારે વિદાયની એ ક્ષણ ખૂબ જ ભાવુક હોય છે. એ સમયે દીકરીના મા દીકરીના હાથમાં પ્રેમથી ૧૦૦ કે ૨૦૦ રૂપિયા મુકે છે, જેને આપણી સંસ્કૃતિમાં "ભાથાના નાણાં" કહેવામાં આવે છે.
આ માત્ર કાગળની નોટ કે સો-બસો રૂપિયાનો હિસાબ નથી, પરંતુ માતા અને દીકરી વચ્ચેના અસીમ પ્રેમ, વાત્સલ્ય અને સંસ્કારની એક અદભુત પ્રથા કે નિશાની છે.
આ પ્રથા પાછળના મુખ્ય ભાવ એ છે કે, મા માટે દીકરી ગમે તેટલી મોટી થઈ જાય કે ઘર-પરિવારવાળી થઈ જાય, પણ તે હંમેશાં એની નાની બાળકી જ રહે છે. મા જ્યારે દીકરીના હાથમાં આ નાણાં આપે છે ત્યારે એ કોઈ કિંમત તરીકે નહીં, પણ માના વહાલ અને અખંડ આશીર્વાદ રૂપે હોય છે. દીકરીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. પિયરમાંથી વિદાય થતી વખતે તેના હાથ ખાલી ન રહે અને તેનો હાથ સદા ભરેલો રહે તેવી શુભકામના આ નાની ભેટ પાછળ છુપાયેલી હોય છે. .
આ સો બસ્સો રૂપિયામાં માનો એ ભાવ હોય છે કે "બેટા, રસ્તામાં તારે જે ખાવું હોય તે લઈને ખાઈ લેજે, આ તારા પોકેટ મની છે." દીકરી માટે પણ આ નોટ દુનિયાના કરોડ રૂપિયા કરતાં પણ વધુ મૂલ્યવાન હોય છે, કારણ કે એમાં માના પ્રેમની સુગંધ હોય છે. આ પરંપરા દર્શાવે છે કે દીકરી ગમે તેટલી સમૃદ્ધ સાસરિયામાં જાય, પણ માના હાથની ભાથાની એ નાની નોટ તેના માટે સદા અમૂલ્ય ખજાનો બની રહે છે. માની બસ એક જ ઇચ્છા હોય છે કે મારી દીકરી ખાલી હાથે પાછી ન જવી જોઈએ.
- અરવિંદ કલસરીયા ‘માનસ’
જો પૉસ્ટ ગમી હોય તો આ pageને follow કરવાનું ન ભૂલશો.
#દીકરી_વિદાય #માની_મમતા