01/05/2023
*ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નર્મદા જિલ્લાને આરોગ્ય વિભાગ તરફથી વધુ એક ભેટ*
-------
*જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં રાજપીપલા ખાતે આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું*
--------
*નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવતા જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓ*
---------
*અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૨, જિલ્લા તાલીમ ટીમ સેન્ટર, ફિઝ્યોથેરાપી સેન્ટર સહિત ડોરમેટરી અને સખીમંડળની કેન્ટીન દર્દીઓ-લાભાર્થીઓને વધુ બહેતર સુવિધા આપવા સક્ષમ*
---------
રાજપીપલા, સોમવાર :- ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેવાઓને વધુ સરળ અને સુદ્રઢ બનાવવાના ઉમદા આશય સાથે ઊભા કરાયેલા આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે અને પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખે પણ જનસુખાકારી માટે શરૂ કરેલા વિવિધ પ્રકલ્પોની સરાહના કરીને આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગી થઈને લોકોને નવજીવન આપીને એક જવાબદાર નાગરિકની ભુમિકા અદા કરવા અંગે શ્રીમતી દેશમુખે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાજાશ્રી સર છત્રસિંહજીએ પ્રજાના આરોગ્યની ચિંતા કરીને રાજપીપલા ખાતે જનરલ હોસ્પિટલનો પાયો નાખ્યો હતો. આ હોસ્પિટલને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે, જેના ભાગરૂપે આ હોસ્પિટલ મહારાજાશ્રી સર છત્રસિંહજીના નામે ઓળખાય તેવા શ્રીમતી દેશમુખે મંતવ્યો રજૂ કર્યા હતા. જેનું તંત્રના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓએ અનુમોદન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લો પણ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. રાજ્ય સરકારની સાથે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તથા નર્મદા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવીને સંપૂર્ણ સહકાર આપવા અંગે શ્રીમતી વસાવાએ વિશ્વાસ વ્યક્ત કરીને અંતરિયાળ વિસ્તારના લોકો પણ આરોગ્યલક્ષી સુવિધાનો લાભ લઈ શકે તે માટે આઈ.ઈ.સી. પર વિશેષ ભાર આપવા અંગે અનુરોધ કર્યો હતો.
રાજપીપલાના નગરજનો સહિત આસપાસના ગ્રામજનોની આરોગ્ય અને સુખાકારી માટે વધુ સારી સુવિધાઓ સુનિશ્રિત કરવા માટે આજે ખુલ્લા મુકાયેલ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૨ ખાતે સગર્ભા માતાની તેમજ પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને ૧ વર્ષથી નાના બાળકોની આરોગ્ય સારસંભાળ, ડાયાબિટીસ, હાયપરટેન્સન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન તેમજ સારવાર, શારીરિક અને માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન સહિત ટ્રોમા અને ઇમરજન્સી પ્રાથમિક સેવાઓ લોકોને મળી રહેશે.
ઉપરાંત, જનરલ હોસ્પિટલ રાજપીપલા સ્થિત યુપીએચસી સહ પોલીક્લીનીક ખાતે ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ થતા તણાવયુક્ત અને તંગ જીવનશૈલીથી પ્રભાવિત લોકો માટે તેમજ પોષણયુક્ત ખોરાકની ઉણપ તેમજ શરીરના અવયવો પર અસર કરતા પરિબળોમાં અગત્યની ભૂમિકા ભજવી વિવિધ ટેક્નિક્સ, કસરત અને ચોક્કસ પ્રકારની ફિઝિયોથેરાપીથી અહીં સારવાર આપવામાં આવશે. વધુમાં આરોગ્યલક્ષી તાલીમ માટે જિલ્લા તાલીમ સેન્ટર, તાલીમાર્થીઓને રહેવા માટે ડોરમેટરી સહિત સખી કેન્ટીન શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. ઝંખનાબેન વસાવા, જિલ્લા રક્ત પિત્ત અધિકારીશ્રી ડો. હેત્તલ ચૌધરી, ડિવિઝનલ ટ્રેનિંગ સેન્ટર પાદરાના ડો. નિલેશ શાહ, નાંદોદના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.સુમન, આરોગ્ય વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત નર્સિંગના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
0000