12/08/2017
UIDAI અત્યાર સુધી 81 લાખ આધાર નંબર કર્યા ડીએક્ટિવી, જાણો સરકારે શું કારણ આપ્યું
નવી દિલ્હીઃ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ અત્યાર સુધી અંદાજે 81 લાખ આધાર નંબર ડીએક્ટિવ કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી પીપી ચૌધરીએ રાજ્ય સભામાં આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, UIDAIએ રાજ્ય, વર્ષ અને કારણની કોઈ વિસ્તૃત જાણકારી આપી નથી.
આધાર (નોંધણી અને અપડેટ) વિનિયમ 2016ની કલમ 27 અને 28માં ઉલ્લેખિત જુદા જુદા કારણોથી આધાર નંબરને ડીએક્ટિવ કરવામાં આવે છે. ચૌધરીએ કહ્યું કે, આધાર કાનૂન, 2016 પહેલા આધાર નંબરને આધાર લાઈફ સાઈકલ મેનેજમેન્ટ (એએલસીએમ) ગાઈડલાઈન્સ અનુસાર નિષ્ક્રિય અથવા રદ્દ કરવામાં આવતા હતા. તેમણે જણાવ્યું કે, UIDAIના ક્ષેત્રીય કાર્યાલયોને આધાર નંબર નિષ્ક્રિય કરવાનો અધિકાર છે.
આધાર કાર્ડ હવે એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. નાણાંકીય લેવડદેવડ અને સરકારી અને સામાજિક સુરક્ષા યોજનાઓમાં તેની અનિવાર્યતાને કારણે દરેક વ્યક્તિએ પોતાની પાસે રાખવું જરૂરી થઈ ગયું છે. UIDAI હેલ્પલાઈન અને આધાર રજિસ્ટ્રેશન સેન્ટરના અધિકારીઓ અનુસાર જો તમે તમારો આધાર નંબરનો સતત ત્રણ વર્ષ સુધી કોઈ ઉપયોગ ન કરો તો તે ડીએક્ટિવ થઈ જશે. આગળ વાંચો તમારો આધાર નંબર ડીએક્ટિવ થયો છે કે નહીં તે જાણવાની પ્રોસેસ.
UIDAIની વેબસાઈટના હોપ પેજ પર જાઓ અને તેમાં આધાર સર્વિસીઝ ટેબ મળશે. તેમાં તમને ‘વેરિફાઈ આધાર નંબર’નો ઓપ્શન જોવા મળશે.
તે પછી તમે તમારા આધાર નંબર અને કેપ્ચા કરો. જો લીલા રંગમાં ચેકમાર્ક આવે તો સમજી લો કે તમારું આધાર કાર્ડ એક્ટિવ છે.
જો તમારું આધાર કાર્ડ ઈનએક્ટિવ છે, તો પછી તમારી નજીકના રેજિસ્ટ્રેશન કેન્દ્રમાં જવું પડશે અને તમારા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહેશે. ત્યાં, તમારે આધાર ફોર્મ ભરવું પડશે. ફરી એકવખત તમારી બાયોમેટ્રિક ડિટેલ્સ આપવી પડશે. તેના વેરિફિકેશન બાદ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. તેના અપડેશન માટે તમારે 25 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે તમારો મોબાઈલ નંબર નોંધાવવો જરૂરી રહેશે. આ તમે ઓનલાઈન કે પોસ્ટ દ્વારા નહીં કરી શકો.