03/06/2026
અરવલ્લી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઇન (LCDC) નો પ્રારંભ.
રાષ્ટ્રીય રક્તપિત્ત (લેપ્રસી) નિર્મૂલન કાર્યક્રમ (NLEP) અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા. 08 જૂનથી 18 જૂન, 2026 દરમિયાન લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઇન (LCDC) હાથ ધરવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં છુપાયેલા અથવા હજુ સુધી ઓળખાયા ન હોય તેવા રક્તપિત્તના દર્દીઓની વહેલી તકે શોધખોળ કરી તેમને સમયસર નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. રક્તપિત્તની વહેલી ઓળખ અને સમયસર સારવાર દ્વારા રોગના ફેલાવાને અટકાવી શકાય છે તેમજ વિકલાંગતા નિવારી શકાય છે.
અભિયાન દરમિયાન આશા કાર્યકરો, ફીલ્ડ લેવલ વોલન્ટિયર્સ તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ રક્તપિત્તના લક્ષણો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે તેમજ સંભવિત દર્દીઓની શોધખોળ કરવામાં આવશે. LCDC અંતર્ગત દરેક વ્યક્તિ સુધી પહોંચીને રોગની વહેલી ઓળખ અને નિદાન સુનિશ્ચિત કરવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.
રક્તપિત્ત સંપૂર્ણપણે સારવાર યોગ્ય રોગ છે અને તેની મલ્ટી ડ્રગ થેરાપી (MDT) સારવાર સરકાર દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને શરીર પર આછું અથવા રતાશ પડતું ચાઠું, ચામડીના રંગમાં ફેરફાર, સંવેદનામાં ઘટાડો, સ્પર્શની અનુભૂતિ ન થવી, ચામડી પર ગાંઠ કે સોજા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી નિદાન કરાવવું જોઈએ.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા ક્ષય/લેપ્રસી અધિકારીશ્રીએ જિલ્લાના નાગરિકોને આ અભિયાન દરમિયાન આરોગ્ય ટીમોને સંપૂર્ણ સહકાર આપવા, રક્તપિત્ત અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા તથા રોગના લક્ષણો અંગે જાગૃત બનવા અપીલ કરી છે. રક્તપિત્તની વહેલી ઓળખ અને સંપૂર્ણ સારવાર દ્વારા કુષ્ઠમુક્ત સમાજનું નિર્માણ શક્ય છે.
LCDC અભિયાનને સફળ બનાવવા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, સામાજિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, આરોગ્ય કર્મચારીઓ તેમજ જનસમુદાયનો સક્રિય સહયોગ મહત્વપૂર્ણ રહેશે.
"વહેલી ઓળખ – સંપૂર્ણ સારવાર – કુષ્ઠમુક્ત સમાજ"
CMO Gujarat Health & Family Welfare Department, Government of Gujarat