31/03/2026
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જૂનાગઢમાં ‘સાહિત્ય શનિવાર’ ઉજવાઈ ગયો.
મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી તા. ૨૮ માર્ચ ૨૦૨૬, શનિવારે જૂનાગઢ સ્થિત શ્રી પ્રેમાનંદ સ્કૂલ ખાતે બે મહત્ત્વપૂર્ણ સાહિત્યિક કાર્યક્રમો યોજાયા હતા.
સવારના સત્રમાં ‘માતૃભાષા શિક્ષણ’ વિષયક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટથી પધારેલા ડૉ. રાજેન્દ્ર ચોટલિયાએ ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિ વિષે ગહન અને માહિતીસભર વિચારો રજૂ કર્યા હતા.સંસ્થાના પ્રમુખ લાભશંકર જોશીએ માતૃભાષા શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ ડૉ. માતંગ પુરોહિતે કાર્યક્રમના સંચાલન દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢના માતૃભાષા પ્રેમીઓ તેમજ પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહી જ્ઞાનસમૃદ્ધ બન્યા હતા.
સાંજના સત્રમાં પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢના જાણીતા કવિ તથા તબીબ ડૉ. ઉર્વિશ વસાવડાએ ‘દેવો ધાધલ’ પુસ્તકનું રસદર્શન કરાવ્યું હતું, જ્યારે પ્રા. હરેશ કાવાણીએ ‘મહોતું’ પુસ્તક અંગે રસપ્રદ પરિચય આપ્યો હતો. બંને વક્તાઓએ પોતાની અસરકારક રજૂઆતથી ઉપસ્થિત સાહિત્ય રસિકોમાં વાંચન પ્રત્યે અભિમુખતા દર્શાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. હર્ષાબેન પાડલિયાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જૂનાગઢના સાહિત્ય રસિકો, વાંચનપ્રેમીઓ તેમજ મુક્તધારા ફાઉન્ડેશન ‘વાંચન વલોણું’ના ટ્રસ્ટીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
@ Vanchan Valonu
www.VanchanValonu.org