06/06/2026
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જીતાલીમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા..
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સરપંચ, તલાટી તેમજ તાલુકા પંચાયતના સભ્ય ઊર્મિલાબેન ભગતના આયોજન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ, સારંગપુર બેઠકના જિલ્લા પંચાયત સભ્ય કુસુમબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ, અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ સહિત અનેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં લીમડો, વડ, આસોપાલવ તેમજ નીલગીરી જેવા વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન કરવાની સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું રક્ષણ કરવા સૌને અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણી, ગ્લોબલ વોર્મિંગ સામે લડત અને આવનારી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ આપવા વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.