18/08/2026
*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજ્ય સહ કન્વીનર તરીકે વિરમગામના કિરીટ રાઠોડની નિમણૂક*
*RDAMના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા નિમણૂક પત્ર એનાયત*
*અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં સંગઠન નિર્માણ અને દલિત હક્ક-અધિકારની લડત મજબૂત કરવાની મહત્વની જવાબદારી*
વિરમગામ : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM)ના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા વિરમગામના સામાજિક અગ્રણી કિરીટ રાઠોડની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજ્ય સહ કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમને નિમણૂક પત્ર એનાયત કરવાની સાથે અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં RDAMનું સંગઠન નિર્માણ કરી દલિત સમાજના હક્ક, અધિકાર અને સામાજિક ન્યાયની લડતને વધુ મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના વિરમગામના વતની કિરીટ રાઠોડ છેલ્લા આશરે 30 વર્ષથી નવસર્જન ટ્રસ્ટ તેમજ દલિત અધિકાર મંચના માધ્યમથી વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત સમગ્ર ગુજરાતમાં દલિત, વંચિત, શોષિત અને પીડિત સમાજના હક્ક-અધિકાર માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. શૈક્ષણિક અને કાનૂની જાગૃતિની સાથે સામાજિક ન્યાય માટેની વિવિધ લડતોમાં તેઓ સતત સક્રિય રહ્યા છે.
રાજ્યમાં દલિત સમાજ સાથે બનેલી અનેક ગંભીર અત્યાચારની ઘટનાઓમાં કાનૂની લડત અને અસરકારક રજૂઆતો દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવાના પ્રયાસો સાથે તેમણે સામાજિક ન્યાયની લડતને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. બંધારણીય મૂલ્યોનું જતન અને રક્ષણ થાય તથા સામાન્ય નાગરિકોને તેમના બંધારણીય હક્કો અને અધિકારો અંગે જાણકારી મળે તે માટે પણ તેઓ સતત જનજાગૃતિનું કાર્ય કરતા રહ્યા છે.
ખાસ કરીને વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દલિત સમાજના સ્મશાનના પ્રશ્નો, ઘરથાળના પ્લોટ માટેની લડત, સામાજિક ન્યાય સમિતિઓની રચના, પંચાયત ધારાની જોગવાઈઓના અમલીકરણ તથા માહિતી અધિકાર (RTI) કાયદાનો અસરકારક અમલ થાય તે માટેના જનજાગૃતિ અભિયાનોમાં કિરીટ રાઠોડે સક્રિય ભૂમિકા ભજવી છે.
આ ઉપરાંત દલિત સમાજ સાથે થતા જાતિ આધારિત ભેદભાવ, અત્યાચાર, શોષણ અને અન્યાયની અનેક ઘટનાઓમાં કાનૂની લડત, સરકારી તંત્ર સમક્ષ રજૂઆતો અને પીડિત પરિવારોને જરૂરી માર્ગદર્શન આપીને અનેક વંચિત, શોષિત અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે તેઓ સતત કાર્યરત રહ્યા છે.
કિરીટ રાઠોડની ત્રણ દાયકાની સામાજિક કામગીરી અને સામાજિક ન્યાય માટેની લડતને ધ્યાને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા તેમને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજ્ય સહ કન્વીનર તરીકે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો છે.
નવી જવાબદારી અંતર્ગત કિરીટ રાઠોડને અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં RDAMનું સંગઠન નિર્માણ અને વિસ્તરણ કરવા, દલિત સમાજના હક્ક-અધિકારોના પ્રશ્નોને સંગઠિત રીતે ઉઠાવવા, બંધારણીય અધિકારો અંગે જનજાગૃતિ વધારવા તેમજ સામાજિક ન્યાયની લડત સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
કિરીટ રાઠોડની રાજ્ય સહ કન્વીનર તરીકે નિમણૂક થતાં અમદાવાદ જિલ્લા સહિત વિરમગામ, માંડલ અને દેત્રોજ પંથકના સામાજિક-રાજકીય આગેવાનો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા રૂબરૂ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
વિરમગામના સામાજિક અગ્રણી તરીકે કિરીટ રાઠોડે લાંબા સમયથી સામાજિક ન્યાય, બંધારણીય અધિકારો અને વંચિત-પીડિત સમાજના પ્રશ્નો માટે કરેલી કામગીરીને કારણે વિવિધ સંસ્થા અને સંગઠનોમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાં રાજ્ય સહ કન્વીનર તરીકે મહત્વની જવાબદારી મળતાં વિરમગામ પંથક અને દલિત સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.તેમજ
અમદાવાદ શહેરમાં લાભા વોર્ડ પ્રમુખ તરીકે શ્રી પૂનમભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી.