19/05/2026
“મારા કર્મચારી વરસાદમાં પલળતા હોય… તો હું છત્રી નીચે કેવી રીતે ઊભો રહી શકું?”
—————————————————————–—————
વર્ષ ૨૦૧૭નું ચોમાસું… અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સામાન્ય લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા વિસ્તારમાં તો વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
એ સમયે અમદાવાદના પોલીસ કમિશનર A.K. Singh કોઈ AC ઓફિસમાં બેસીને સૂચનાઓ આપી રહ્યા નહોતા. તેઓ પોતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોતાના જવાનો સાથે ધોધમાર વરસાદમાં કલાકો સુધી ઉભા રહી ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા હતા. વરસાદ એટલો ભારે હતો કે તેમનો આખો યુનિફોર્મ પલળી ગયો હતો… પરંતુ ચહેરા પર થાક નહોતો, માત્ર ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પોતાના માણસો માટેની જવાબદારી દેખાતી હતી.
અને ખરેખર વિચારીએ તો… તેઓ તો કમિશનર હતા. એમને કોણ કહેવાનું હતું કે “સાહેબ, તમે જાતે નીચે ઉતરો… વરસાદમાં ઉભા રહો…”? તેઓ ઇચ્છે તો ઓફિસમાં બેસીને ફક્ત ફોન પર સૂચનાઓ આપી શકતા હતા. પરંતુ કદાચ એ જ ફરક હોય છે અધિકારી અને લીડરમાં. પદ માણસને મોટું બનાવતું નથી… માણસાઈ બનાવે છે.
ત્યાં હાજર કેટલાક પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકો તેમની પાસે છત્રી લઈને દોડી આવ્યા. પરંતુ એ.કે સિંઘ સાહેબે છત્રી લેવાની સાફ ના પાડી દીધી.
અને પછી તેમણે જે વાત કહી… એ જ વાત આજે પણ હજારો લોકોના દિલમાં જીવતી છે.
તેમણે ખૂબ શાંતિથી કહ્યું —
“જ્યારે મારા સામાન્ય પોલીસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડના માણસો વરસાદમાં કોઈ છત્રી કે રેઈનકોટ વગર ફરજ બજાવી રહ્યા હોય, ત્યારે હું કમિશનર બનીને છત્રી નીચે કેવી રીતે ઊભો રહી શકું?”
આ માત્ર એક જવાબ નહોતો… આ સાચા નેતૃત્વની વ્યાખ્યા હતી.
કારણ કે સાચો લીડર એ નથી જે ફક્ત ખુરશી પર બેસીને આદેશ આપે. સાચો લીડર એ છે જે પોતાના માણસોની વચ્ચે ઉભો રહે. જે પોતે જે જીવે છે, એ જ પોતાની ટીમને શીખવે છે.
લીડર જો છાંયડામાં ઉભો રહી કલાકો સુધી પોતાના માણસોને તડકામાં ઉભા રાખીને સૂચનાઓ આપે, તો પછી એ સૂચનાઓ સાંભળનાર પણ આગળ જઈને પોતાના નીચેના માણસો સાથે એ જ વર્તન કરે. જો અધિકારી પોતાના સ્ટાફ સાથે તોછડું બોલે, અપમાન કરે, બધાની વચ્ચે ઉધડા લે… તો પછી એ જ કર્મચારી પણ સામાન્ય માણસ સાથે કડકાઈ અને ગુસ્સાથી વર્તે.
કારણ કે માણસ જે સહન કરે છે, ઘણીવાર એ જ આગળ પહોંચાડે છે.
પરંતુ જો અધિકારી પોતાના માણસોને સન્માન આપે, તેમની વાત સાંભળે, તેમની વેદના સમજે… તો પછી એ જ કર્મચારી પણ પ્રજાની સાથે માણસાઈથી વર્તે છે.
તમે તમારા કર્મચારીને જે આપશો, જે શીખવશો… એ જ કર્મચારી પછી બીજાને આપશે. તમે સન્માન આપશો તો સન્માન પાછું ફરશે. તમે અપમાન આપશો તો અપમાન જ ફેલાશે.
એ.કે સિંઘ સાહેબ જેવા અધિકારીઓ પોતાના સ્ટાફને માત્ર “કર્મચારી” તરીકે નહોતા જોતા. તેઓ જાણતા હતા કે દરેક યુનિફોર્મ પાછળ પણ એક માણસ હોય છે… જેને થાક લાગે છે, જેને દુઃખ થાય છે, જેને બે સારા શબ્દોની જરૂર પડે છે.
એક સુંદર ઉક્તિ છે —
“સાચો લીડર એ નથી જે સૌથી આગળ ચાલે,
સાચો લીડર એ છે જે મુશ્કેલીમાં પોતાના માણસોની બાજુમાં ઉભો રહે.”
વરસાદમાં પલળતા એ કમિશનર માત્ર ટ્રાફિક સંભાળી રહ્યા ન હતા પરંતુ એ આખા સમાજને નેતૃત્વનો સાચો અર્થ શીખવી રહ્યા હતા.
ખરેખર, દરેક ક્ષેત્રમાં આવા લીડર હોવા જોઈએ…
જે કર્મચારીઓને અપમાનિત ન કરે, બધાની સામે ઉધડા ન લે, પરંતુ તેમની વાત સાંભળે, તેમની પીડા સમજે અને જરૂર પડે ત્યારે પોતાના માણસોની બાજુમાં ઉભા રહે.
આજે પણ ગુજરાતના લાખો પોલીસકર્મીઓના હૃદયમાં એ.કે સિંઘ સાહેબ પ્રત્યે અનહદ પ્રેમ છે. કારણ કે તેમણે ફક્ત પદ નથી સંભાળ્યું… માણસોના દિલ સંભાળ્યા હતા.
બાકી સાચું કહીએ તો…
આ દુનિયામાં વર્ષો પછી કોણ કોને યાદ રાખે છે?
પણ જે માણસ પોતાના હોદ્દાથી નહિ, માણસાઈથી જીવ્યો હોય…
એ માણસ લોકોના દિલમાં કાયમ જીવતો રહે છે.
- B.n bhai
જય દ્વારકાધીશ